
પેક થેલીનું દૂધ પણ ખરાબ હોઈ શકે? : જાણો એને પેક કર્યા પહેલાંની બે પ્રક્રિયા, વારંવાર ઉકાળવું કેટલું યોગ્ય? ; નિષ્ણાતો પાસેથી જાણો એને તાજું રાખવાની રીત
Play all audios:

4 દિવસ પેહલાલેખક: સંદીપ સિંહ * * * કૉપી લિંક જે લોકો ગાય અને ભેંસનું તાજું દૂધ પીને મોટા થયા છે તેમના માટે દૂધ ઉકાળીને પીવાનો વિચાર પણ મુશ્કેલ છે, જોકે હવે શહેરોમાં કાચું દૂધ મેળવવું સરળ
નથી. મોટા ભાગનાં ઘરોમાં પોલી પેક્ડ દૂધનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણા લોકો એને ઉકાળ્યા પછી જ પીવે છે. તેમનું માનવું છે કે આવું કરવું જરૂરી છે, કારણ કે દૂધમાં બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે કેટલાક
લોકો એમ પણ કહે છે કે બજારમાં ઉપલબ્ધ દૂધ પહેલાંથી જ પેશ્ચરાઇઝેશન પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યું હોય છે, જે તેને બેક્ટેરિયા મુક્ત બનાવે છે. આવી સ્થિતિમાં દૂધને વારંવાર ઉકાળવું માત્ર નકામું જ
નથી, પરંતુ એ દૂધના જરૂરી પોષકતત્ત્વોને પણ ઘટાડી શકે છે. તો ચાલો આજે 'કામના સમાચાર'માં જાણીએ કે શું પોલી પેક્ડ દૂધ ઉકાળવું યોગ્ય છે? આપણે આ વિશે પણ વાત કરીશું- * શું આનાથી
પોષકતત્ત્વો ઓછાં થાય છે? * શું દૂધ ઉકાળ્યા વિના પીવું સલામત છે? * આ વિશે ડોકટરો શું ભલામણ કરે છે? નિષ્ણાત: ડૉ. આર. એસ. સોઢી, પ્રેસિડન્ટ, ભારતીય ડેરી એસોસિયેશન (IDA), ભૂતપૂર્વ મેનેજિંગ
ડિરેક્ટર, અમૂલ સુચિતા શર્મા, ડાયટિશિયન, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, ઈન્દોર પ્રશ્ન- પેશ્ચરાઇઝેશન અને UHT પ્રોસેસ્ડ દૂધ શું છે? જવાબ- દૂધ અથવા અન્ય પ્રવાહી ખાદ્ય પદાર્થોને સુરક્ષિત
બનાવવા અને એની શેલ્ફ લાઇફ વધારવા માટે પેશ્ચરાઇઝેશન અને અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર પ્રોસેસિંગ (UHT) બંને બે મુખ્ય તકનીકો છે. ચાલો... આ સમજીએ. પેશ્ચરાઇઝેશન: આ એક એવી પ્રક્રિયા છે, જેમાં દૂધને લગભગ
71°C પર 15-20 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડું કરવામાં આવે છે. એનો હેતુ દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, જેમ કે ઇ. કોલી, લિસ્ટેરિયા અને સાલ્મોનેલાને દૂર કરવાનો છે. આ
પ્રક્રિયા દૂધને સલામત બનાવે છે, પરંતુ એને એ પછી રેફ્રિજરેટરમાં રાખવું જરૂરી છે અને થોડા દિવસોમાં એનો ઉપયોગ કરી લેવો જોઈએ. સામાન્ય રીતે આપણે પોલીપેકમાં ઉપલબ્ધ દૂધ ખરીદીએ છીએ, એ પેશ્ચરાઇઝ્ડ
હોય છે. UHT પ્રક્રિયા: આ પ્રક્રિયામાં દૂધને 135°C થી વધુ તાપમાને 2થી 5 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. એ બધા બેક્ટેરિયા અને વીજાણુનો નાશ કરે છે, જેનાથી દૂધને રેફ્રિજરેશન વિના 6 મહિના સુધી
સુરક્ષિત રાખી શકાય છે, પણ શરત એટલી કે એનું પેકિંગ ખોલવામાં ન આવે તો. ટેટ્રા પેકમાં ઉપલબ્ધ દૂધ UHT દૂધ છે. પ્રશ્ન- શું પેકેજ્ડ દૂધ ઉકાળવું જરૂરી છે? જવાબ: ડાયટિશિયન સુચિતા શર્મા કહે છે કે જો
તમે ગાય કે ભેંસનું દૂધ સીધું દૂધવાળા પાસેથી ખરીદો છો, તો એને ઉકાળવું જ જોઈએ, કેમ કે એમાં બેક્ટેરિયા હોઈ શકે છે, જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ પેકેટમાં ઉપલબ્ધ દૂધ (જેમ કે
ટેટ્રા પેક અથવા પોલીપેક) ખૂબ સારી રીતે ગરમ કરીને સાફ કરવામાં આવ્યું હોય છે. એને પેશ્ચરાઇઝ્ડ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે આ દૂધ પહેલાંથી જ પીવા માટે સલામત છે. આવા દૂધને વારંવાર અથવા
લાંબા સમય સુધી ઉકાળવાથી એમાં રહેલાં જરૂરી પોષકતત્ત્વોમાં ઘટાડો થઈ શકે છે, તેથી પોલીપેક્ડ દૂધ ઉકાળવાની જરૂર નથી. એને થોડું ગરમ કરવું પૂરતું છે. પ્રશ્ન- શું UHT દૂધ ઉકાળવું જરૂરી છે? જવાબ:
UHT દૂધ, જે ટેટ્રા પેકમાં આવે છે, એને પહેલા ખૂબ જ ઝડપથી 135 ડિગ્રી સેલ્સિયસ સુધી થોડી સેકન્ડ માટે ગરમ કરવામાં આવેલું હોય છે અને પછી ખૂબ જ સ્વચ્છ પેકિંગમાં પેક કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં
બધા હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે. આનો અર્થ એ છે કે આ દૂધ સંપૂર્ણપણે સલામત છે અને તમે એને સીધા પેકમાંથી પી શકો છો. એને ઉકાળવાની કોઈ જરૂર નથી. જોકે જો તમને ગરમ દૂધ ગમે છે, તો તમે એને થોડું
ગરમ કરી શકો છો, પરંતુ એ ફક્ત તમારી પસંદગી પર આધાર રાખે છે. પ્રશ્ન: શું ટોન્ડ, ડબલ ટોન્ડ અને ફુલ ક્રીમ દૂધને જુદી જુદી રીતે ઉકાળવું જોઈએ? જવાબ: આ ત્રણ અલગ અલગ પ્રકારનાં દૂધ છે, જેમાં દૂધની
ચરબી (ક્રીમ) અલગ અલગ હોય છે. * ટોન્ડ દૂધમાં સૌથી ઓછી ક્રીમ હોય છે. * ડબલ ટોન્ડ દૂધમાં થોડી વધુ ક્રીમ હોય છે. * ફુલ ક્રીમ દૂધમાં ક્રીમનું પ્રમાણ સૌથી વધુ હોય છે. _આ બધાં દૂધ પેશ્ચરાઇઝ્ડ છે,
તેથી ભલે એ ટોન હોય, ડબલ ટોન હોય કે ફુલ ક્રીમ હોય, એને ઉકાળવાની જરૂરિયાત સમાન છે, તફાવત ફક્ત દૂધની ક્રીમમાં છે._ પ્રશ્ન: શું દૂધ વારંવાર ઉકાળવાથી એના પોષણ અને તાજગી પર અસર પડે છે? જવાબ: દૂધ
વારંવાર ઉકાળવાથી એના પોષણ મૂલ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને કેટલાંક વિટામિન જે ગરમીમાં ઝડપથી બગડી જાય છે, જેમ કે વિટામિન B1, B2 (રિબોફ્લેવિન), B3, B6 અને ફોલિક એસિડ. દૂધને ઉકાળવાથી
એનું પ્રમાણ ઘટાડી શકાય છે અને રિબોફ્લેવિન એ દૂધમાં ઊર્જા આપતો ખાસ પદાર્થ છે. આ ઉપરાંત ઉકાળવાથી દૂધમાં કેટલાંક પ્રોટીન બદલાય છે અને એની ચરબીનું પ્રમાણ થોડું બદલાઈ શકે છે, પરંતુ કુલ કેલ્શિયમ
અથવા ચરબીનું પ્રમાણ બહુ બદલાતું નથી. દૂધ વારંવાર ઉકાળવામાં આવે તો એ ઝડપથી બગડી શકે છે, કારણ કે એની શેલ્ફ લાઇફ ઓછી થઈ જાય છે, તેથી જો જરૂરી હોય તો એને એકવાર થોડું ગરમ કરો, પરંતુ એને વારંવાર
ઉકાળવાનું ટાળો. પ્રશ્ન: પેકેટ ખોલ્યા પછી દૂધ કેટલા સમય સુધીમાં પી જવું જોઈએ? જવાબ: ઉનાળાની ઋતુમાં દૂધનું પેકેટ ખોલ્યા પછી એને 3થી 4 દિવસની અંદર પી લેવું જોઈએ. આ સમય દરમિયાન દૂધને હંમેશાં
4°C કે તેથી ઓછા તાપમાને રેફ્રિજરેટરમાં રાખવું જરૂરી છે, જેથી એ બગડી ન જાય. દૂધ પીતાં પહેલાં એકવાર ચોક્કસ તપાસ કરી લો. જો એમાંથી ખાટી ગંધ આવે તો એને બિલકુલ ન પીવું. પ્રશ્ન- શું પેકેજ્ડ દૂધ પણ
'ખરાબ' હોઈ શકે છે? જવાબ: જો પેકેજ્ડ દૂધ યોગ્ય રીતે તૈયાર કરવામાં, પેક કરવામાં અને યોગ્ય તાપમાને રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યું હોય તો એ સામાન્ય રીતે સ્વચ્છ અને સલામત હોય છે, પરંતુ
જો દૂધનું પેકેટ ખુલ્લું રાખવામાં આવે અથવા યોગ્ય રીતે રેફ્રિજરેટરમાં ન રાખવામાં આવે તો એમાં બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. ઉનાળામાં આ ખતરો વધુ ઝડપથી વધે છે, તેથી દૂધને હંમેશાં સીલબંધ પેકેટમાં
રાખો અને એને યોગ્ય તાપમાને સંગ્રહિત કરો.